July 21, 2012


અટકચાળાનું બૂરું પરિણામ

 એક શહેરથી થોડે દૂર આવેલા રમણીય ઉપવનમાં એક મંદિર બાંધવાનું કામ ચાલતું હતું. મંદિર બનાવવા માટે કડિયા, સુથાર વગેરે કારીગરો કામે લાગ્યા હતા. એક દિવસ સુથારોએ એક મોટું લાકડાનું થડિયું વહેરવા માંડયું. એ અડધું વહેરાયું, એટલામાં બપોરે જમવાનો વખત થયો. સુથારો પેલા અડધા વહેરાયેલા થડની ફાટ વચ્ચે એક મોટી ફાચર મારીને જમવા જતા રહ્યાં.
એ વખતે વાંદરાનું એક મોટું ટોળું આ સ્થળે આવી ચડયું. વાંદરાં તો તોફાની હોય જ. એટલે કેટલાક વાંદરા લાકડા ઉપર કૂદાકૂદ કરવા લાગ્યા. કેટલાક ઓજારો સાથે રમત કરવા લાગ્યા. એવામાં એક વાંદરો પેલા અડધા વહેરેલા થડ પાસે પહોંચી ગયો અને પેલી ફાચરને બળપૂર્વક ખેંચવા લાગ્યો. તેણે ફાચરને જોરથી ખેંચી, એથી ફાચર ફાટમાંથી બહાર આવી ગઈ. એ વખતે પેલા થડની ફાટ ભેગી થવાથી એમાં એનું પૂંછડું બરાબરનું ભીંસાઈ ગયું.
વાંદરાએ ચીસાચીસ કરી મૂકી. એની ચીસો સાંભળીને બધા વાંદરા ત્યાં ભેગા થઈ ગયા. પેલા વાંદરાએ પોતાનું પૂંછડું કાઢવા ઘણા ધમપછાડા કર્યા, પણ પેલી ફાટમાં પૂંછડું એવું તો દબાઈ ગયું હતું કે બહાર ન જ નીકળ્યું.
છેવટે તેણે પૂંછડું કાઢવા જોરદાર ઝાટકો માર્યો એટલે પૂંછડું તડાક દઈને તૂટી ગયું! વાંદરો હંમેશને માટે બાંડો બની ગયો!
વાંદરાને અટકચાળા કરવાનું બૂરું પરિણામ ભોગવવું પડયું.
બોધ : વિચાર્યા વગર કરેલા કામનું પરિણામ બૂરું આવી શકે. આપણને જેની ખબર જ નથી એવું કામ કરતા પહેલાં વિચારવું જોઈએ, કારણ કે પછી અટકચાળાનું બૂરું પરિણામ ભોગવવાનો વારો આવે છે.
 sorce : sandesh