July 22, 2012


આદર્શ રાજ્ય એ કહેવાય જ્યાં રાજા દાર્શનિક હોય : ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન

બીજા રાષ્ટ્રપતિ
જન્મ    
૫ સપ્ટેમ્બર ૧૮૮૮
મૃત્યુ     
૧૭ એપ્રિલ ૧૯૭૫
રાષ્ટ્રપતિકાળ
૧૩ મે ૧૯૬૨થી ૧૩ મે ૧૯૬૭

સફેદ પાઘડી, ગોઠણ સુધી આવતો લોંગકોટ, સફેદ ધોતી, ગોરું શરીર, પંપ શૂઝ, છ ફીટ જેવી ઊંચાઈ અને માથે બે પટ્ટામાં વહેંચાયેલી વિશિષ્ટ પ્રકારની પાઘડી. આટલું વર્ણન કરીએ એટલે જે ચિત્ર ખડું થાય એ ડો. રાધાકૃષ્ણનનું હોય.
ડો. રાધાકૃષ્ણન દેશ દુનિયામાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે. વર્ષો પહેલાં ફિલોસોફર પ્લેટોએ લખેલું કે આદર્શ રાજ્ય એ કહેવાય જ્યાં રાજા દાર્શનિક હોય. ડો. રાધાક્રિષ્નન રાષ્ટ્રપતિ બન્યા એટલે એ વાત થોડી-ઘણી સાચી સાબિત થઈ. રાધાક્રિષ્નનનો જન્મ ૧૮૮૮માં આંધ્ર પ્રદેશના ધાર્મિક શહેર તિરૂતનીમાં થયેલો. તેમના પિતા સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા ગરીબ બ્રાહ્મણ હતાં. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.
૧૬ વર્ષે કૃષ્ણનન ભણતાં હતા ત્યારે જ ૧૦ વર્ષની કન્યા શિવકામૂ સાથે તેમનાં લગ્ન થઈ ગયેલાં. દરમિયાન ૨૦ વર્ષે પહોંચેલા કૃષ્ણનની વિદ્વત્તા છાની રહેતી ન હતી. માટે તેમને મદ્રાસ, મૈસુર, કોલકાતા વગેરે યુનિવર્સિટીઓમાં ભણાવવાનું આમંત્રણ મળવા લાગ્યું. એમ.એ. દરમિયાન તૈયાર કરેલો શોધ નિબંધ તેમણે ૨૦ વર્ષની વયે જ પુસ્તક તરીકે પ્રગટ કરી દીધો. એ પુસ્તકનું નામ હતું, 'ધ એથિક્સ ઓફ ધ વેદાન્ત એન્ડ ઈટ્સ મટીરિયલ એક્સપોઝિશન'.
તેમની પ્રગતિ બહુ સીધી લીટીમાં હતી. દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.
૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. ૧૯૪૯માં કૃષ્ણન રશિયામાં ભારતના રાજદૂત બન્યા. સરમુખત્યાર જોસેફ સ્તાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્તાલિનને ઈશારો કરતાં કરતાં કૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક રાજાએ ધરાર સત્તા હાંસલ કરી એ પછી તેને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્તાલિન-કૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું. ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્નને ભારત બોલાવી લેવાયા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. ૧૯૫૪માં તેમને ભારત રત્ન આપી દેવાયો હતો. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો. અગાઉ નોંધ્યું તેમ તેમની વિશ્વભરમાં ખ્યાતિ હતી. પરિણામે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા. અંતિમ દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતાં હતા. તબિયતની પણ ગંભીર સમસ્યાઓ હતી. એ સ્થિતિ વચ્ચે જ તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી. 
તેઓ પોતાનાં પ્રવચનો જાતે જ લખતાં!
* ઈરાનની તહેરાન યુનિવર્સિટીએ જ્યારે રાધાકૃષ્ણનને ડોક્ટર ઓફ લિટરેચરની ડિગ્રી આપી ત્યારે ડો. કૃષ્ણને વિશ્વવિદ્યાલયને પોતાનાં બધાં જ પુસ્તકો ભેટમાં આપ્યાં. એ પુસ્તકો સ્વાભાવિક રીતે જ ડો. કૃષ્ણનની વિદ્વત્તાથી ભરાયેલાં હતાં. માટે યુનિવર્સિટીના કુલપતિએ તેમને મજાકમાં જવાબ આપ્યો કે ડી.લીટની ડીગ્રી આપી આપણે તેમને વધારે આપ્યું કે પછી આ પુસ્તકો દ્વારા તેમણે આપણને વધારે આપ્યું એ સમજવું મુશ્કેલ છે!
* રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા અને કમ્યુનિસ્ટ સાંસદ ભૂપેશ ગુપ્તા ડો. કૃષ્ણનના વિદ્યાર્થી હતા. પણ રાજ્યસભામાં ડો. કૃષ્ણન અધ્યક્ષ હોય અને ભૂપેશ વિરોધપક્ષના નેતા તરીકે બેઠા હોય એવું ઘણી વખત બનતું. ગુપ્તા પોતાના શિક્ષકનો પૂરો આદર જાળવતા. તો સામે પક્ષે રાજ્યસભામાં ક્યારેક ગુપ્તા નજરે ન પડે તો કૃષ્ણન પૂછતાં: "વ્હેર ઈઝ ભૂપેશ?" સામાન્ય સંજોગોમાં અધ્યક્ષ વિરોધપક્ષના નેતાને આ રીતે નામ લઈને બોલાવતા હોતા નથી.
sorce : sandesh 


જંગલ બૂક

ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં જોવા મળતા કોઆલા તેની સુંવાળી ત્વચા માટે જાણીતા છે. આ પ્રાણી એક દિવસમાં ૨૪માંથી ૨૦ કલાકની ઊંઘ કરે છે. વૃક્ષો પર રહેતા આ સજીવોને ઓસ્ટ્રેલિયાના લોકો ખૂબ જ પસંદ કરે છે. ૧૭૮૮માં કોઆલાની સંખ્યા દસ લાખ જેટલી હોવાનું મનાતું હતું. જોકે, ૧૯૨૦ સુધીમાં આ સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી ગઈ હતી. તેની સુંવાળી ચામડીના કારણે તેનો શિકાર થવા લાગ્યો હતો અને એટલે હવે કોઆલાની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો નોંધાયો છે. એક સમયે લાખોની સંખ્યામાં જોવા મળતા આ પ્રાણીની સંખ્યા આજે માંડ ૪૫ હજાર હોવાનો અંદાજ છે. તેની ચામડી કીમતી હોવાથી શિકારીઓના સકંજામાં તેની આખી પ્રજાતિ સપડાઈ ગઈ છે. કોઆલાના શિકાર સામે ઑસ્ટ્રેલિયાના લોકો આક્રોશ ઠાલવે છે. પોતાના માનીતા સજીવનો શિકાર અટકાવવા ખાસ પ્રયાસની ઑસ્ટ્રેલિયનોની માંગણી પછી કોઆલાને સુરક્ષા આપીને તેનો શિકાર થતો અટકાવાયો છે. જોકે, તેના અસ્તિત્વ પર હજુ પણ ખતરો મંડરાઈ રહ્યો છે. શિકારીઓ પર કાબૂ રાખવામાં આવ્યો હોવા છતાં કોઆલાને જંગલી શ્વાનથી ખતરો હંમેશાં રહ્યો છે. આ સિવાય અમુક અસાધ્ય બીમારીઓ લાગુ પડી જતી હોવાથી પણ ઉત્તરોતર આ સજીવની સંખ્યા ઘટતી જાય છે. સતત એ તરફના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે કે આ સુંદર અને નાજૂક દેખાતા સજીવોનું રક્ષણ કરી શકાય. 

ઈંડાંને મોઢામાં સાચવી રાખતી માછલી : માઉથબ્રુડર

જંગલ બૂક
આ ફ્રિકા અને દક્ષિણ અમેરિકાના અમુક સમુદ્રી વિસ્તારમાં માછલીની એક અનોખી પ્રજાતિ જોવા મળે છે. આ માછલી પોતાનાં ઈંડાં તેના મોઢામાં જ સાચવે છે. તેની આ ખાસિયતના કારણે તેને'માઉથબ્રુડર'ના નામથી ઓળખવામાં આવે છે. માઉથબ્રુડરની અન્ય પણ થોડી વિશેષતાઓ છે જે આપણે જાણીએ.
માઉથબ્રુડર નામની પ્રજાતિની માદા તેનાં ઈંડાંને મોઢામાં જ સાચવે છે અને તેની સંભાળ રાખે છે. ઈંડાંમાંથી જેવાં બચ્ચાં બહાર આવે એ પછીનું કામ નર સંભાળે છે.
માઉથબ્રુડર પ્રજાતિના નર બચ્ચાં સાચવવાનું કામ કરે છે અને એ પણ અનોખી રીતે. ઈંડાંને જે રીતે માદા મોઢામાં રાખીને રક્ષણ કરે છે એ જ રીતે બચ્ચાંની સંભાળ પણ નર માઉથબ્રુડર પોતાના મોઢામાં જ રાખે છે.
જ્યાં સુધી બચ્ચાંઓ મોટાં થઈ ન જાય અને પોતાનો ખોરાક પોતાની જાતે લેવા ન માંડે ત્યાં સુધી તે પિતાના મોઢામાં જ સુરક્ષિત સ્થાન બનાવી રાખે છે.
નર માઉથબ્રુડરના મોંમાં બચ્ચાંઓ સચવાયાં હોવાથી તે ખોરાક પણ લઈ શકતો નથી. આ કારણે તેનું શરીર પાતળું પડી જાય છે.
* જોકે, અમુક વખતે અમુક કિસ્સાઓમાં નર થોડો થોડો ખોરાક લઈ શકે છે.
* જ્યારે બચ્ચાં સાધારણ સ્થિતિમાં પાણીમાં તરવા લાગે છે ત્યારે નર માઉથબ્રુડર તેને પાણીમાં છોડી દે છે. બચ્ચાંને કોઈ ખતરો દેખાય તો તે પાછાં પોતાના પિતાના મોંમાં આવી જાય છે.
* બચ્ચાંઓ પૂરી રીતે સ્વતંત્ર થઈ જાય પછી નર માઉથબ્રુડર થોડો વખત માત્ર પર્યાપ્ત ખોરાક લેવાની કાળજી રાખે છે. પાતળા થઈ ગયેલા શરીરને ફરીથી પહેલાંની માફક બનાવે છે.
* ઈંડાંને અને બચ્ચાંઓને મોઢામાં સાચવવાની આ પ્રજાતિની કુશળતા અને ખાસિયત જ તેને અન્ય માછલીઓથી અલગ તારવી દે છે.  
sorce : sandesh

માણસના લોહી વગર ચલાવી લેતા મચ્છરની નવી પ્રજાતિ :
ક્યુલેક્સ મોલેસ્ટસ જંગલ બૂક

ઓ સ્ટ્રેલિયાની એક સંશોધક ટીમે એક એવા મચ્છરની પ્રજાતિ શોધી કાઢી છે જેને ઈંડાં મૂકવા માટે બીજી પ્રજાતિઓની જેમ માણસના લોહીની જરૂર પડતી નથી. સામાન્ય રીતે મચ્છરની અન્ય પ્રજાતિઓની માદાને ઈંડાં મૂકતી વખતે તો ખાસ માણસનું લોહી ચૂસવાની જરૂર પડે છે, પણ ઓસ્ટ્રેલિયામાંથી મળી આવેલા મચ્છરની આ પ્રજાતિને એથી ઊલ્ટું એવી જરૂર જણાતી નથી. સંશોધકોએ તેનું નામ ક્યુલેક્સ મોલેસ્ટસ રાખ્યું છે.
* ક્યુલેક્સ મોલેસ્ટસ મચ્છરની માદા પ્રજાતિની ખાસિયત છે કે ઈંડાં મૂકવા માટે તે એના શરીરમાં રહેલાં પોષકતત્ત્વોનો જ ઉપયોગ કરે છે. આ ક્ષમતાને ઓટોજેની કહેવામાં આવે છે. જ્યાં સુધી ઈંડાં ન મૂકે ત્યાં સુધી માદા સામે લોહીનો ખોરાક મૂકવામાં આવે તો પણ તે લોહી ચૂસતી નથી.
* આવા પ્રકારના મચ્છરો તળાવો કે ગંદા ખાબોચિયામાં રહેવાને બદલે પાણી સંગ્રહ કરવા માટેની ટાંકી કે પાઇપ આસપાસ રહેવાનું પસંદ કરે છે.
* સામાન્ય મચ્છર કરતાં થોડાક નાના આકારના આ મચ્છરોની શોધ કરવામાં સંશોધક ટીમે બે વર્ષનો સમય પસાર કર્યો હતો.
* સંશોધક ટીમના તજ્જ્ઞા અને સિડની યુનિવર્સિટીના વિજ્ઞાની કેમરુન વેબના કહેવા પ્રમાણે હવે આ પ્રજાતિના મચ્છરો સંગ્રાહક પાણીમાં રહેતા હોવાથી પાણીની વિશેષ કાળજી તરફ ધ્યાન આપવું હિતાવહ થઈ પડશે.
* આ મચ્છરોની પ્રજાતિ વર્ષો પહેલાં અમેરિકામાં મોટા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતી હોવાની શક્યતા આ ટીમે વ્યક્ત કરી હતી. ૧૯૪૦ આસપાસ આ મચ્છરો અમેરિકાના સૈનિકો સાથે ઓસ્ટ્રેલિયામાં આવ્યા હશે અને હવે અહીં જ તેણે પોતાનું નવું ઠેકાણું બનાવ્યું હોવાનું સંશોધકો માને છે.

sorce : sandesh